- આ લિંગ પાંડવોના સમયનું માનવામાં આવે છે
- શિવલિંગનો સીધો સંપર્ક આકાશ સાથે નથી, છતાં ચંદ્રકળાની અસર દેખાય છે
વાત છે. અમદાવાદથી ૪૦ કિ.મી. દૂર આવેલા ધોળકા તાલુકાના કલીકુંડમાં આવેલા ભગવાન ચંદ્રમૌલેશ્વર શિવાલયની. ભગવાન ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગ સ્ફટિકના પરપોટા જેવું છે. તે જોતાં એમ લાગે છે કે આ શિવલિંગ બહુ ઓછાં જોવાં મળે છે. આ લિંગમાં ચંદ્રકળાની સીધી અસર થાય છે, તેથી આ શિવલિંગને ચંદ્રમૌલેશ્વર મહાદેવ કહેવાય છે. સાથેસાથે શિવલિંગ જેવું હોવાથી પરપોટિયા મહાદેવ તરીકે ઓળખાય છે.
એમ કહેવાય છે કે પાંચ હજાર વર્ષ પહેલાં ચંદ્રમૌલેશ્વર ભગવાન પોતે અહીં પ્રગટ થયા હતા. વિશ્વના અન્ય અન્ય એક સ્તંભ આકારનાં શિવલિંગ કરતાં વિશિષ્ટ સ્ફટિકના સુંવાળા, સુંદર તથા ભવ્ય પરપોટાના સ્વરૂપ જેવું આ શિવલિંગ બનેલ છે. આ પરપોટાની સાચી સંખ્યા ગણી શકાય તેમ નથી. કોઈ વિવિધ પરપોટા પર ચંદનથી તિલક કરી ગણતરી કરે તો પણ તેની સાચી ગણતરી થઈ શકતી નથી. આ લિંગ પાંડવોના સમયનું માનવામાં આવે છે. પાંડવોએ તેમના ગુપ્તકાળ દરમિયાન આ વિસ્તારમાં રોકાણ કર્યું હતું. તે દરમિયાન તેમણે આ દિવ્ય તથા ચમત્કારિક લિંગની પૂજા કરી હતી. આ અદ્ભુત શિવલિંગનો સીધો સંપર્ક આકાશ સાથે નથી. છતાં ચંદ્રકળાની અસર તેના પર દેખાય છે.
સૌથી આગળના ભાગમાં મધ્યમાં આવેલ એક ખાસ પરપોટામાં ચંદ્રકળાની વધઘટ દેખાય છે. ઉપરાંત તેમાં ૐના દર્શન થાય છે. શિવજીની જટાનાં પણ દર્શન થાય છે. આમ ચંદ્રદર્શનના તેના આગલા સ્વભાવને કારણ તે ચંદ્રમૌલેશ્વર તરીકે ઓળખાય છે. મહાશિવરાત્રીની રાત્રે અહીં ચાર પ્રહરની પૂજા થાય છે. ચારેય પ્રહરના જુદાજુદા ચંદ્રદર્શનનો લાભ શિવભકતોને મળે છે. પૂનમ તથા અમાસના અલગ અલગ દર્શનનો લાભ લાખો લોકો લે છે.






