Friday, 1 August 2014

કમળને શુભ શા માટે માનવામાં આવે છે?

દરેક દેવી-દેવતાઓ અને ખાસ કરીને ભગવાન વિષ્ણુને કમળપુષ્પ ખૂબ જ પ્રિય છે. તેમની પૂજા કમળપુષ્પ વગર અધૂરી રહે છે. કમળ અન્ય પુષ્પોમાં સૌથી ઉત્તમ છે. કમળપુષ્પ તેના ગુણોને કારણે આટલું મહત્ત્વ ધરાવે છે.
કમળ સત્યમ્, શુભમ્ તથા સૌંદર્યનું પ્રતીક છે. સત્યમ્-શિવમ્-સુંદરમ્નું સ્વરૂપ અર્થાત્ સ્વભાવ પણ આ જ છે. આ જ કારણથી ઈશ્વરનાં વિવિધ સ્વરૂપોની તુલના કમળ સાથે કરવામાં આવે છે. જેમ કે કમલનયન વગેરે.કમળનું પુષ્પ સૂર્યોદય થતાંની સાથે જ ખીલવા લાગે છે અને સૂર્યાસ્ત થતાં જ મુરઝાઈ જાય છે. આ જ રીતે આપણું તન પણ જ્ઞાાનના પ્રકાશમાં ખીલે છે અને વિકાસ પામે છે. કમળનું પુષ્પ કાદવમાં રહેવા છતાં પણ પોતાના વાતાવરણથી અપ્રભાવિત રહી સૌંદર્યથી ભરપૂર રહે છે અને આપણને બધી જ પરિસ્થિતિઓમાં શુદ્ધ તથા સુંદર રહેવાનો પ્રયત્ન કરવાની યાદ અપાવે છે.
કમળનાં પાન જળમાં રહેવા છતાં પણ ભીનાં નથી થતાં અને આપણને તે જ્ઞાાની વ્યક્તિની યાદ અપાવે છે, જે દુઃખદાયી તથા પરિવર્તનશીલ સંસારથી અપ્રભાવિત રહેતા હંમેશાં આનંદમાં ડૂબેલા રહે છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના એક શ્લોકમાં આ વાતને કંઈક આ રીતે અભિવ્યક્ત કરવામાં આવી છે. 'જે વ્યક્તિ મોહ ત્યાગ કરી, ઈશ્વરને કર્તા માનીને પોતાનું કર્મ કરે છે, તે પાપથી એ રીતે અપ્રભાવિત રહે છે જે રીતે કમળનું પુષ્પ કાદવમાં રહેવા છતાં પવિત્ર રહે છે, તેથી જ કમળને પંકજ કહેવામાં આવ્યું છે.' આપણા શરીરમાં ઊર્જાના વિશેષ કેન્દ્ર હોય છે, જેને યોગશાસ્ત્રમાં ચક્ર કહેવામાં આવે છે. દરેક ચક્રનો સંબંધ કમળ સાથે છે. પાંખડીઓવાળું કમળ સહસ્રાર ચક્રનું દ્યોતક છે જે આપણાં માથાના ઉપરના ભાગમાં સ્થિત છે. માત્ર દેવત્વની પ્રાપ્તિ થાય ત્યારે જ યોગીનું આ ચક્ર ખૂલી જાય છે અને યોગીને દેવત્વ અર્થાત્ આત્માનું જ્ઞાાન થઈ જાય છે. ધ્યાનમાં બેસવા માટે પણ પદ્માસનની સલાહ આપવામાં આવી છે, જે કમળનું જ એક રૂપ છે.
 

No comments:

Post a Comment