Thursday, 31 July 2014

પાર્વતીજીએ શંકરને પામવા કરેલું વ્રત ફૂલકાજળી

ભારતીય સંસ્કૃતિ વિવિધ તહેવારો અને વ્રતોથી સભર રહી છે. વિવિધ પ્રદેશોમાં જુદા-જુદા પ્રકારના તહેવાર ઊજવાય છે. દરેક પ્રદેશની અન્ય લાક્ષણિકતાની સાથે ઊજવાતાં વ્રતો અને તહેવારનું પણ પ્રદેશવાર વિશેષ મહત્ત્વ હોય છે. પ્રદેશ પ્રમાણે તેનાં પરંપરાગત વ્રતો હોય છે, જેને પેઢી દર પેઢી દરેક સ્ત્રીઓ કરતી રહે છે અને પ્રાદેશિક પરંપરાનો વારસો જાળવતી રહે છે. આપણી સંસ્કૃતિમાં કુમારિકાઓ યોગ્ય જીવનસાથીની કામના માટે અને પરિણીત મહિલાઓ પતિના લાંબા સુખદ આયુષ્ય માટે વ્રત કરવાની પરંપરા બહુ પ્રાચીન છે. કુંવારિકાઓ માટે સારો ભાવિ ભરથાર પામવાનાં વ્રતોમાંથી એક ફૂલકાજળી વ્રત છે.
ફૂલકાજળીના વ્રતનો ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે જે કથા અનુસાર મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આદિશક્તિ પાર્વતીએ ફૂલનું ભોજન લઈ, ફૂલ સૂંઘી આ વ્રત કર્યું હતું. આ વ્રતથી પ્રસન્ન થઈ મહાદેવ પાર્વતીજીને પ્રાપ્ત થયા હતા.
આ કથાથી પ્રેરાઈને ભારતીય સ્ત્રી યોગ્ય વરની કામના માટે ભોળાનાથને રીઝવવા વ્રત કરે છે. જયાપાર્વતીનું વ્રત, હરિયાળી તીજ, કરવા ચોથ, ગૌરી વ્રત, વટ સાવિત્રીનું વ્રત વગેરે અનેક વ્રતો ભરથાર માટે કરવામાં આવે છે. તેવી જ રીતે માત્ર ગુજરાતમાં ફૂલકાજળીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત માત્ર અપરિણીત યુવતીઓ દ્વારા કરવામાં આવે છે. દરેક વ્રતની જેમ ફૂલકાજળીમાં પણ સુયોગ્ય જીવનસાથીની કામના માટે શિવ-પાર્વતીની આરાધના કરવામાં આવે છે.
ફૂલકાજળીનું વ્રત શ્રાવણ માસની સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ દિવસને ચોખાકાજળી પણ કહે છે. આ દિવસે યુવતીઓ આખો દિવસ ઉપવાસ રાખે છે તેમજ ફૂલને સૂંઘે છે અને તેની આસપાસ ફૂલને રાખે છે. જો ચોખાકાજળી હોય તો ચોખા પાસે રાખે છે. સવારમાં શિવ-પાર્વતીનું ષોડશોપચારે પૂજન કરવામાં આવે છે. મહાદેવને ફળ-ફૂલ અર્પણ કરીને મનગમતા જીવનસાથીની કામના અને પ્રાર્થના કરવામાં આવે છે. સાંજે ગાયનું પૂજન કરીને ફળાહાર કરી આખી રાત જાગરણ કરવામાં આવે છે અને ઘરના મંદિરમાં શિવજીના ફોટા પાસે આખી રાત અખંડ દીપક રાખવામાં આવે છે. સમગ્ર રાત કામનાની ર્પૂિત માટે મહાદેવની આરાધના સાથે ભજન-કીર્તન, ગરબા પણ લે છે. આમ, યુવતીઓના ઉલ્લાસથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને સંગીતમય બની જાય છે.
દરેક તહેવાર કે વ્રતની જેમ ફૂલકાજળીમાં પણ યુવતીઓ શૃંગાર કરે છે. હાથમાં મેંદી મુકાવે છે તેમજ પ્રાદેશિક પરંપરાગત પરિધાન ધારણ કરે છે. આમ, શ્રાવણ મહિનાની ઝરમર વર્ષા વચ્ચે જ્યારે કુદરતી રંગો અનેરી છટામાં ખીલ્યા હોય ત્યારે દુલ્હનની જેમ શૃંગાર કરેલી યુવતીઓનું સૌંદર્ય અને કુદરતી સુંદરતા એકાકાર થતાં સમગ્ર માહોલ ખુશનુમા બની જાય છે.


No comments:

Post a Comment